કૂતરાઓને રોટલી નાંખવા નીકળતા વીજ કરંટ લાગતા યુવકનું મોત

હિન્દ ન્યૂઝ, વડોદરા,

મકરપુરા જી.આઇ.ડી.સી.માં આવેલી સોલાર કંપનીનો કર્મચારી શનિવાર મોડી સાંજે કંપનીની બહાર કૂતરાઓને રોટલી નાંખવા નીકળતા વીજ કરંટ લાગતા મોત થયું હતું. શહેરના ગાજરાવાડી વિસ્તારમાં ખેડકર ફળીયામાં રહેતો વિશાલ દિનેશભાઇ પ્રજાપતિ (28) મકરપુરા જી.આઇ.ડી.સી.માં આવેલી સોલાર ઇક્વિપમેન્ટ પ્રાઇવેટ લિમીટેડ કંપનીમાં નોકરી કરતો હતો. શનિવાર મોડી સાંજે વિશાલ રાબેતા મુજબ કંપનીના ગેટની બહાર કૂતરાઓને રોટલી નાંખવા માટે ગયો હતો. દરમિયાન કંપનીના ગેટ પાસે આવેલા વીજ થાંભલા ઉપર ઉતરેલ વીજ કરંટ લાગતા તે બેભાન થયો હતો. તે સમયે ઘરે જવા માટે નીકળેલા કંપનીના સુપરવાઇઝરે વિશાલને બેભાન અવસ્થામાં પડેલો જોતા કંપનીના કર્મચારીઓને જાણ કરી હતી. કંપનીના સુપરવાઇઝરે બેભાન થઇ ગયેલા વિશાલના સાથી કર્મચારીઓને જાણ કરતા જ તેઓ દોડી આવ્યા હતા અને સાથી કર્મચારીઓ ખાનગી વાહનમાં સ્થાનિક ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. જોકે, ખાનગી હોસ્પિટલ દ્વારા યુવાનની હાલત ગંભીર હોવાથી સયાજી હોસ્પિટલમાં લઇ જવા માટે જણાવતા તુરત જ સાથી કર્મચારીઓ તેણે સયાજી હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં તબીબોની પ્રાથમિક સારવાર દરમિયાન વિશાલનું મોત થયું હતું.

રિપોર્ટર : કમલેશ ત્રિવેદી, વડોદરા

Related posts

Leave a Comment